ઈતિહાસ તેહવારો ફરવા લાયક સ્થળો શહેરો અને ગામડાઓ

ચાલો તરણેતરના મેળે

Tarnetar Fair
Tarnetar Fair, Zalawad Saurashtra

તરણેતર: ઝાલાવાડ -સૌરાષ્ટ્ર
તરણેતર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા ચોટીલા તાલુકામાં આવેલું એક મહત્વનું ગામ છે.
આમ તો તરણેતર મુખ્યત્વે તેનાં મેળાથી વધારે પ્રખ્યાત છે, જે અહીં આવેલા ખુબ જ પ્રસિદ્ધ ભગવાન ત્રિનેત્રેશ્ર્વર મહાદેવના મંદીર ખાતે ભરાય છે.
તરણેતર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજુરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

સ્થળ:
શિવ એ અરણ્યદેવ ગણાય છે. પ્રાચીન કાળના શિવમંદીરો બહુધા અરણ્યમાં રહેતા. આ ભોળીયા દેવનો પુજક વર્ગ પણ અરણ્યવાસી લોકો હતા. શિવમંદીરોની વાત આવે એટલે હૈયે ચડી આવે સૌરાષ્ટ્રના ત્રણ પ્રાચીન શિવમંદીરો જે સોમનાથ, ભવનાથ અને તરણેતર. સોમનાથ સમુદ્રતટે ઉભુ છે, તો બાકીના બે વગડામાં આવેલા છે. આજે તો ત્રણે મંદીરો વસ્તી વધતા તેની નજીક આવી ગયા છે. પણ જયારે બાંધવામા આવ્યા ત્યારે સોમનાથને બાદ કરતા બન્ને જંગલમાં હતાં. આમ જોઈતો સૌરાષ્ટ્રનો પાંચાળ પ્રદેશ એટલે બનારસ અને હરદ્વાર સમજોને. આવા પાંચાળમાં ભગવાન ત્રિનેત્રેશ્ર્વર મહાદેવનું મંદીર તરણેતરમાં શોભી રહયુ છે. આમતો તરણેતર મુખ્યત્વે તેનાં મેળાથી વધારે પ્રખ્યાત છે. તરણેતર મંદીર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા જતાં માર્ગ પર આવેલું છે.

તરણેતર મંદીરનો ઈતિહાસ:
તરણેતર મંદીરની સ્થાપના વિશે લોકવાયકા છે કે અયોધ્યાનાં સૂર્યવંશી રાજા યુવનાશ્વ નિ:સંતાન હોવાથી તેણે તેમના ગુરુ વશિષ્ઠના સુચનથી યજ્ઞ કર્યો હતો. તેના તપોબળે તેમને ત્યાં પુત્રનો જન્મ થયો હતો જેનું નામ મંધાતા હતુ. અને આ તરણેતરનું મંદીર મંધાતા એ બંધાવેલ હતું. તે ઉપરાંત આ મંદીર સાથે એક એવી વાત પણ જોડાયેલ છે જે મહાભારતકાળની છે. તે સમયે દ્રુપદ નગરી પાંચાળમાં હતી. મહાભારતની કથા અનુસાર દ્રુપદની પુત્રી દ્રૌપદી નો સ્વયંવર તરણેતરમાં યોજવામાં આવેલ હતો. તે સમયે બ્રાહ્મણના વેશમાં પાંડવો સ્વયંવરમાં આવેલા અને અત્યારે આ સ્થળ ઉપર જે કુંડ આવેલ છે, તેમાં અર્જુન દ્વારા મત્સવેદ થયો હતો. અને આ રીતે દ્રૌપદીનાં વિવાહનો પ્રંસંગ જોડાયેલો છે.
ઐતિહાસિક રીતે જોઈએ તો તરણેતરનું મંદીર દસમી સદીનું હોવાની શકયતા મંદીરની શૈલી ગુર્જર પ્રતિહાર પ્રકારની હોવાથી સંશોધનકારો કહે છે. કારણકે પ્રતિહાર રાજાઓ શિવાલયો બાંધવાના શોખીન હતા. જેથી તેઓએ આ મંદીરનો જીર્ણોધાર કરાવ્યો હોય. આમ પણ પ્રતિહાર રાજાઓ આઠમી સદીમાં સૌરાષ્ટ્રમાં આવ્યા હોય તેવા પ્રમાણો ઈતિહાસમાં મળે છે. અત્યારનું જે મંદીર છે તેનો જીર્ણોધાર લખતરનાં રાજવી કરણસિંહજીએ ઈ.સ. ૧૯૦૨ ની સાલમાં ઓગસ્ટ મહિનામાં તેમના પુત્રી કરણબાનાં સ્મરણાર્થે કરાવ્યો હતો. મંદીરનો ઘાટ જુનો છે. તેના ઉપર નવા મંદીરની બાંધણી થઈ છે. આ મંદીરથી થોડુ દુર તરણેતર ગામ આવેલું છે. આ મંદીર પાસે ૧૦૦ વીઘા જેવી ખેતીની જમીન છે.
મંદીરની સામેની બાજુએ તળાવ છે, જે ચોમાસા દરમિયાન આખુ પાણીથી ભરાય જાય ત્યારે ચોતરફ હરિયાળી ખીલી ઊઠે છે અને તરણેતર મંદીરની શોભામાં ચાર ચાંદ લાગી જાય છે. તરણેતરનાં આ મંદીરમાં બે શિવલીંગ સ્થાપિત છે. જે જાણકારોના કહેવા મુજબ મોટું શિવલીંગ પ્રાચીન છે અને તેની બાજુમાં આવેલા પ્રમાણમાં નાના શિવલીંગની પ્રતિષ્ઠા કરણસિંહજીએ મંદીરનો જીર્ણોધાર કર્યો ત્યારે થઇ છે. આ મંદીરની કોતવણી અને શિલ્પ અદભુત, મોહક અને મનોહર છે. મંદીરની બાજુમાં ત્રણ કુંડ આવેલાં છે જે વિષ્ણુકુંડ, શિવકુંડ અને બ્રહ્મકુંડ તરીકે ઓળખાય છે.
આ મંદીરની બાંધણી ખુબજ જુની હોવાથી અને શિલ્પકલાનો વારસો સચવાયેલ હોવાથી આ મંદીર પુરાતત્વ ખાતા હસ્તક લેવાયલ છે.

તરણેતરનો મેળો:
સૌરાષ્ટ્રમાં ઋતુ પ્રમાણે ઘણા મેળાઓ યોજાય છે જેવાકે માધવપુરનો મેળો, ભવનાથનો મેળો, તરણેતરનો મેળો, કાલાવડ રણુજાનો મેળો, દાણીધારનો મેળો વગેરે. જેમાં મુખ્ય એવા રામનવમીના દિવસે ભરાતો માધવપુરનો મેળો ભકિત-કીર્તનનો મેળો છે, શિવરાત્રિના દિવસે ભરાતો ભવનાથનો મેળો અલખના આરાધકોનુ મિલન સ્થળ છે જયાં ભારત ભરનાં સાધુ સંતો ભેગા થાય છે. જે ભારતમાં કુંભના મેળા પછી બીજા સ્થાને આવે છે. અને ઋષિપંચમીના દિવસે ભરાતો તરણેતરનો મેળો યૌવન, રંગ, રૂપ, મસ્તી, લોકગીત, દુહા અને લોકન્રૂત્યનો મેળો છે. સૌરાષ્ટ્રની સમ્રૂધ્ધ લોકસંસ્ક્રૂતિને જોવા, જાણવા અને માણવા માટે તરણેતરનો મેળો એક માત્ર સ્થાન છે. આમ બધી જગ્યાએ યોજતા મેળા પોતાની એક આગવી છાપ ધરાવે છે.
તરણેતરનો મેળો ત્રીજ,ચોથ અને પાંચમ એમ ત્રણ દિવસ ચાલે છે. જેમા ભાદરવા સુદ પાંચમ એટલે કે ઋષિપંચમીનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. જેથી પાંચાળ પ્રદેશની પ્રજા દુર ન જઈને તરણેતરને ગંગા અને હરદ્વાર માનીને તરણેતરમાં આવેલ ત્રણેય કુંડમાં પોતાના મ્રૂત્યુ પામેલા સ્વજનોના અસ્થિ પધરાવી, કુંડમાં નાહીને ગંગામાં નાહયાનું પુણ્ય માને છે. અને આ દિવસેજ ત્રિનેશ્ર્વર મહાદેવના મંદીર ઉપર બાવન ગજની ધજા ચડાવવામાં આવે છે. તરણેતરનાં મેળાની ત્રણ વિશેષતાઓ છે. સામસામા બોલાતા દુહા, વહેલી રાતથી માંડીને સવાર સુધી ચાલતી ભજનની લહેર અને ૨૦૦-૨૦૦ ભાઈ-બહેનોના એક સાથે લેવાતા હુડા અને હાજા રાસ. આ સૌરાષ્ટ્રની સમ્રૂધ્ધ લોકસંસ્ક્રૂતિ છે. જેને આ તરણેતરનાં મેળાએ હજુ સુધી સાચવીને રાખી છે.


PHOTO GALLERY: Tarnetar Fair

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators